LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Sunday, October 18, 2020

ગાંધીજીને અપાયેલા માનપત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

 ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ  ગાંધીજીનો ૧૫૧મો જન્મ દિવસ છે. ભારત સરકારે ગાંધીજીના ૧૫૦માં જન્મ વર્ષની વર્ષ ઉજવણી કરી હતી. જેના પરિપક રૂપે પાંચ વર્ષના

સંશોધન અંતે તૈયાર થયેલા ગ્રંથ “ગાંધીજીને અપાયેલા માનપત્રો” પ્રકાશિત થયો છે.

આજ દિન સુધી ગાંધીજીના વિચારો અને તેના અર્થઘટનો અને તેમના જીવન કાર્યને લગતા અનેક ગ્રંથો વિશ્વમાં પ્રકાશિત થયા છે. પણ ગાંધીજીને મળેલા માનપત્રો અંગે કોઈ સંશોધન કે લેખન થયું નથી. વિશ્વમાં આ પ્રકારનું આ પ્રથમ સંશોધન અને લેખન છે. જેમાં ગાંધીજીને મળેલા ૬૯ જેટલા માનપત્રો શોધીને તેની અસલ ફોટો નકલ મુકવા આવી છે. અને તેના પર સંશોધન કરી લેખન પણ કરવામાં આવેલ છે.

એવા

 

જાન્યુઆરી માસ ગાંધીજીના જીવનમાં મહત્વનો રહ્યો છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં તેમનું આગમન થયું. અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેઓ દિલ્હીમાં શહીદ થયા. ભારતની આઝાદીની લડતમાં છેલ્લે સુધી રત રહેનાર ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે માત્ર "ભાઈ" કે "મો.ક.ગાંધી" તરીકે જ ઓળખતા હતા. હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. પણ તેમની ખ્યાતી ભારતના ખૂણે ખૂણે તેમના આગમન પૂર્વે  પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડના સ્વાતંત્ર ઘેલા યુવાનોમાં તેમની ઘેલછા અદભૂત હતી. અને એટલે જ ભારતમાં ગાંધીજીને સૌ પ્રથમ "મહાત્મા" નું  માન આપનાર પણ સૌરાષ્ટ્ર વાસીઓ જ હતા.

ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે ૭.૩૦ કલાકે ઉતર્યા. અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર સંગ્રામમા એક નવા યુગનો આરંભ થયો. ભારતમાં ગાંધીજીના આગમન સમયે હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું નહતું. દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ "ભાઈ" તરીકે સંબોધતા હતા. ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સૌ પ્રથમ કોણે આપ્યું, એ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે. મોટે ભાગે ઇતિહાસના પાનાનો પર ગાંધીજીને "મહાત્મા" સૌ પ્રથમ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર હતા, એમ મનાય છે.પણ એ સત્ય નથી. ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ સન્માન અને માનપત્રોની પરંપરા આરંભાઈ હતી. જે તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. આવા જ સન્માનો અને માનપત્રોમા સૌ પ્રથમ વાર તેમના માટે "મહાત્મા" શબ્દનો ઉપયોગ થયો હતો.

ભારતમાં ગાંધીજીના આગમન પછી તેમણે સૌ પ્રથમ મુંબઈથી રાજકોટ પ્રયાણ કર્યું હતું. પ્રવાસમાં તેમણે ૨૧ જાન્યુઆરીએ જેતપુર અને ૨૪ જાન્યુઆરીએ ગોંડલની મુલાકાત લીધી હતી. બંને સ્થાનો પર તેમને માનપત્રો આપી સન્માનવામાં આવ્યા હતા. બંને શહેરની પ્રજાએ આપેલા માનપત્રોમા  "મહાત્મા" શબ્દનો પ્રયોગ થયો હતો. મુજબ ૨૧ જાન્યુઆરીની જેતપુરની મુલાકાત દરમિયાન તેમને તથા તેમના ધર્મપત્ની કસ્તુરબાને સન્માનિત કરી માનપત્રો આપવમાં આવ્યા હતા. એ માનપત્રમા સૌ પ્રથમવાર ગાંધીજી માટે "મહાત્મા" શબ્દ પ્રયોજાયો હતો. એ ઐતિહાસિક તથ્ય ભારતના ઇતિહાસમાં બહુ ઝાઝું ઉજાગર થયું નથી.

૨૧ જાન્યુઆરીએ ગાંધીજી ગોંડલ સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પર તેમને સત્કારવામા આવ્યા. ત્યાંથી તેમની ટ્રેન વીરપુર પહોંચી. ત્યાં પણ તેમને સત્કારવામાં આવ્યા. ત્યાંથી ટ્રેન નવાગઢ પહોંચી. નવાગઢ સ્ટેશને ગાંધીજીનું સ્વાગત થયું. ગાંધીજી ત્યાં ઉતરી ગયા. નવાગઢથી મોટર માર્ગે તેઓ જેતપુર આવ્યા. જેતપુરમાં તેમનો ઉતારો શ્રી દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. એ જ દિવસે જેતપુરમાં ગાંધીજીને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ૪૯ નગરજનોની સહી સાથે ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્રના મથાળે લખ્યું હતું,

"શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો"

માનપત્રનું આ મથાળું એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમ  "મહાત્મા"નું બિરુદ આ માનપત્ર દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું હતું. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પયોગ થયાનું કહેવાય છે. એ સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય. એટલે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને  "મહાત્મા" નું બિરુદ આપ્યાની ઉક્તિ યોગ્ય નથી. આ માનપત્રમા આલેખાયેલા વિચારો એ સમયના ગાંધીજી પ્રત્યેના લોક માનસને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેનું આચમન વાચકોને અચૂક ગમશે.

"મહાશય

ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમીમા પધરામણી થતા અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળેલ છે તે માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે. અને તે શુભ પ્રસંગની યાદગીરી રૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ.

 

કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ રા.રા. કરમચંદ ગાંધીના કુટુંબમાં જન્મ લઇ સારી કેળવણી મેળવી બારિસ્ટર-એટ-લો થઇ પોતાના સ્વાર્થના ભોગે હિન્દુસ્થાન માટે જે જે કર્યું....વિવેચન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઇ જાય,પણ આપના જીવનચરિત્રના પુસ્તકો લખાયેલા છે જેથી આ સ્થળે તે વિષે વધારે લખવું અમને ઉચ્ચીત લાગતું નથી.

 

નિસ્વાર્થપણે સુખ દુઃખ સહન કરી આત્મભોગ આપવો તથા પૈસા સબંધી પણ ભોગ આપવો તે કોઈ ઓછું કઠીન કાર્ય નથી. હિન્દુધર્મશાસ્ત્રની અંદર યોગીઓએ વર્તવા જે જે કહેણ છે તેમણે કેવી રીતે વર્તવું, તેમનો શું ધર્મ છે તે વિષે જે કહેલું છે તે મુજબ આપ વર્તો છો અને આપના જીવનચરિત્રને એક મહાન યોગીની ઉપમા આપવી તે આપના આત્માના અનુભવ ઉપરથી અમોને જરા પણ અતિશયોક્તિવાળું લાગતું નથી.

 

છેવટે આપ જેવી રીતે અદ્યાપિ પર્યંત હિંદના ભલા માટે પ્રયત્ન કરો છો તેમ કરીને હિંદને આભારી કરતા રહો તથા આપની તથા આપના પત્નીની શારીરિક સંપતિ સારી રહે અને આપને પરમ કૃપાળુ પરમેશ્વર દીર્ઘાયુષ્ય આપે અને સુખી રાખે તથા આપના  કુટુંબ સહીત આપ સુખશાંતિ ભોગવો એમ અમારી જગત્ નિયંતા પાસે પ્રાર્થના છે. તથાસ્તુ."

માનપત્રના અંતે જેતપુરના ૪૯ અગ્રગણ્યની સહી છે. જેમાં મુખ્યત્વે દેવચંદ ઉત્તમચંદ પારેખ, રણછોડલાલ લક્ષ્મીદાસ મહેતા, કાલિદાસ કાનજી શેઠ, માધવરાય એન. મહેતા, દિનશાહ બરજોરજી બહેરાનજી, મહેતા મોહનલાલ દામોદર, મણીલાલ હાકેમચંદ ઉદાણી, હાકેમચંદ ખુશાલચંદ,અબ્દુલ્લા અયુબ, મગનલાલ ભીમજી જોષી વગેરેનો સમાવેશ કરી શકાય. ૨૧-૧-૧૯૧૫ના રોજ આપવામાં આવેલ આ માનપત્ર રાજકોટમા છાપવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ માનપત્રના અંતે જોવા મળે છે. ગાંધી સાહિત્યના આધારભૂત ગ્રંથ મહાદેવભાઈની ડાયરી ઈ.સ.૧૯૧૮થી શરુ થતી  હોય આ માનપત્ર અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી. જયારે ગાંધીજીના અક્ષરદેહમાં આ માનપત્ર કે તેનો કોઈ જોવા મળતો નથી. ગાંધીના ભારતમાં આગમનનો આ સૌથી પ્રારંભિક કાળ હોય દરેક ઘટનાનો ઉલ્લેખ અક્ષર દેહમાં ન થયાની શક્યતા નકારી શકાય નહિ. આ માનપત્ર સાથે, જ કસ્તુરબાને પણ માનપત્ર આપવામાં આવ્યું હતું.

જેના મથાળે લખ્યું હતું,

"અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી બહેન કસ્તુરબાઈ"

કસ્તુરબાને મળેલ આ માનપત્રના કેટલાક અંશો પણ જાણવા જેવા છે. માનપત્રના ત્રીજા પેરેગ્રાફમા લખ્યું છે,

 

"સ્ત્રી જાતીને પોતાનો પતિવૃતા ધર્મ કેવી રીતે પાળવો પોતાના પતિની આજ્ઞા પ્રમાણે કેમ વર્તવું તથા પતિને સુખે સુખી અને તેના દુ:ખે દુઃખી તે જે આપણા શાસ્ત્રનું મહાન વાકય છે તે મુજબ વર્તી ખરેખર પતિ પરાયણ થઇ સ્વદેશની સેવાને માટે જરૂરને વખતે કારાગૃહમા જવાના અને બીજા અનેક દુ:ખોને નહિ ગણકારતા આત્મભોગ આપી આપે જે દાખલો બેસાડ્યો છે તે અનુપમ છે અને આખા સ્ત્રી વર્ગને નમુના રૂપ છે."

 

માનપત્રની નીચે જેતપુરની ત્રીસ બહેનોની સહીઓ જોવા મળે છે. જેમાં મુખત્વે બાઈ જીવી લાલજી, શીરીનબાઈ મારકર, અંબા, નંદકુવ હરજીવન દોશી વગેરનો સમાવેશ કરી શકાય. આ બંને માનપત્રો કાપડ ઉપર પ્રિન્ટ થયેલા છે. માનપત્રોની ભાષામા લાંબા વાક્યો સાથે અલંકારિક શબ્દોનો પ્રયોગ થયો છે. છ પેરેગ્રાફમા લખાયેલ ગાંધીના માનપત્રમા વિગતોની ભરમાર નથી. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંશા સાથે, આવકાર અને પ્રજાની અપેક્ષા દ્રષ્ટિગોચર થાય છે. આ તમામ વિશિષ્ટતાઓ સાથે સૌથી મહત્વની બાબત તેના મથાળામાં ગાંધીજી માટે વપરાયેલ "મહાત્મા" શબ્દ છે. જે દર્શાવે છે કે ગાંધીજીને "મહાત્મા"નું સૌ પ્રથમ બિરુદ-તખ્લુસ આપનાર પણ તેમની માદરેવતન ધરતી કાઠીયાવાડ જ છે. જે સૌ કાઠીયાવાડીઓ માટે ગર્વની વાત છે અને રહેશે.

 

 

 

 

ગાંધીજીને મળેલ માનપત્રોમા વિવિધતાના અનેક રંગો જોવા મળે છે.એ સાથે ભારતના વિવિધ પ્રદેશોની પ્રજા દ્વારા ગાંધીજીને મળેલા માનપત્રોમા ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને તેમના માર્ગે ચાલવાની પ્રજાની તત્પરતા પણ વ્યક્ત થાય છે. જેમ કે ૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુરની મૈઢ રાજપૂત સભા દ્વારા ગાંધીજીને હિન્દીમાં આપવામાં આવેલ માનપત્રમા ગાંધીજીના ચરખા અભિયાનમાં જોડવાની આખા રાજપૂત સમાજે કરેલી પ્રતિજ્ઞા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. આ માનપત્રના મથાળે લખવામાં આવ્યું છે અભિનંદન પત્ર”. અને તેની નીચે લખ્યું છે, પૂજ્યપાદ જગત શ્રેષ્ટ મહાત્મા મોહનદાસ કર્મ ચંદ ગાંધીજી કે શ્રી ચરણોમેં  સમર્પિત મૈઢ રાજપૂત સભા સહારનપુર કી ઔર સે

આ મથાળા પછી માનપત્રનો આરંભ થાય છે. જેમા લખ્યું છે,

શ્રી મહાત્માજી,

મૈઢ રાજપૂત બિરાદરી કો આજ સૌભાગ્ય પ્રાપ્ત હૈ કી વહ આપકે દર્શન સે અપને કો પુનર્જિવિત કરે. હમારી બિરાદરી ગફલત કી નીંદ સો હી થી. આજ આપકે દર્શન સે હમારા જીવન સફલ હોતા હૈ. હમ હદય સે આપકા સ્વાગત કરતે હૈ. હમારી બિરાદરી મેં  ત્રુટીયા હૈ. વે હમ અચ્છી તરહ જાનતે હૈ ઔર હમ આપકો વિશ્વાસ દીલાતે હૈ કી ભવિષ્યમેં હમારા એક માત્ર કર્તવ્ય યહી હોગા કી હમ અપના સુધાર કરકે જાતિ ઉદ્ધાર મેં પરિશ્રમ કરે. હમ જાનતે હૈ કી એસા કરને સે હી આપકી આત્મા પ્રસન્ન હોગી. ઔર હમારા જીવન ભી વ્યર્થ ન હોગા.

આપકી પ્રેરણા સે હમ ચરખે અપને ઘરોમેં ફિર સે સ્થાપિત કર રહે હૈ. ઔર આશા હૈ કી યથા શીઘ્ર હમારી બિરાદરીકા કોઈ ઘર બીના ચરખે ન રહેગા. હમ યહ તુચ્છ રકમ બતોર પરસ કે આપકે ચરણોમેં પેશ કરતે

હૈ. આશા હૈ આપ સ્વીકાર કર કે કૃતાર્થ કરેંગે. અંતમે હમ ઈશ્વેર સે પ્રાર્થના કરતે હૈ કી આપને જો ભારત વર્ષ ઔર મનુષ્ય માત્ર કે ઉદ્ધાર કા બેડા ઉઠયા હૈ વહ શીઘ્ર હી પાર લગેગા.

આપકી સેવામે

મૈઢ રાજપૂત સભા

ગાંધીજીને મળેલા કેટલાક માનપત્રો હસ્ત લિખિત છે જેમાં તારીખ કે સ્થળ સ્પષ્ટ થતા નથી. પણ ભારતની પ્રજાની ગાંધીજી અને તેમના કાર્યો પ્રત્યેની ભાવના ધારદાર રીતે વ્યક્ત થાય છે. એવા જ એક હસ્ત લિખિત માનપત્રનો આરંભ શ્રી ગણેશજીના ગોળાકારમાં હાથે દોરેલા ચિત્રથી થાય છે. ચિત્રની ડાબી બાજુ શ્રી ગણેશાય નમઃલખ્યું છે. જયારે જમણી બાજુ સ્વરાજ જન્મનો હક્ક હૈ  લખ્યું છે. હિન્દી ભાષામાં લખાયેલ આ માનપત્રનો આરંભ કરતા હસ્ત લિખિત અક્ષરોમાં લખ્યું છે,

 

પૂજયનીય મહાત્માજી

ધન્ય ધન્ય વહ દિન જિસ દિન આપકે મુખ કમલ કા અવલોકન હો. ધન્ય ધન્ય વહ ધરી જિસમેં આપકે ચરણકમલ પધારે. ધન્ય ધન્ય વહ હાથી દરવાજા જહાં આપકે વિમાન રૂપી રથ ચલે... પરમાત્મા કા કોટી કોટી વંદન કરતે હૈ કી આજ હંમે આપકે મુખ કમલ કા દર્શન પ્રાપ્ત હુઆ હૈ. આપ કે સમાગમ કી ઇતની અભિલાષાથી જેસે અયુંધ્યાવાસીઓ કો રાજયશિરોમણી શ્રી રામચંદ્ર કી અભિલાષા થી. ઈશ્વર આપકો સહસ્ત્રાઆયુ પ્રદાન કરે, જો આપ સદેવ ધર્મનીતિક, રાજનીતિક કાર્યો મેં પ્રવર્ત કરે. ઔર આપ જેસે કે કારન

પંચાયતે બની રહે. યથા આપસ કે ઝગડે અપની પંચાયતો મેં નિબટાયા કરે ઔર કોરટ મેં ન જાય. ઇસ લીયે યહ હાથી દરવાજાવાલી પંચયાત પરમાત્મા કે દરબાર મેં બિનતી કરતી હૈ કી આપકો ઇસ કાર્ય મેં સૌભાગ્ય પ્રાપ્ત હો. આપ કે પ્રચાર સે  શહર શહર ગાવ ગાવ મેં હર જગહ સેવા મંડલીયે હો રહી હૈ જીનકા કાર્યફલ અપને ભાઈઓ કી સેવા કરના હૈ. ઇસી કારન, ઇસી તરહ હાથી દરવાજે વાલી દેશ હિતકારક મંડલી આપશે આશીર્વાદ માંગતી હૈ  જો આપ કૃપયા ઇસ મંડલી પર પવિત્ર હસત કમલ ધારણ કરે ,જો યહ મંડલી અપને ઉદેશો પર કાયમ રહે

આ માનપત્રમા વ્યક્ત થેયેલી ભાષા અને વિચારો નોંધપાત્ર છે.પ્રથમ તો તેની ભાષા અને શબ્દોના

ગઠનમાં એ યુગની ઝાંખી થાય છે. જયારે તેના વિચારોમાં ગાંધીજીની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પ્રત્યેની વિભાવના વ્યક્ત થાય છે. અંગ્રેજી કોર્ટો કરતા આપણી પંચાયતો સામજિક સમન્વય અને ન્યાયનું ઉમદા માધ્યમ હતી. અંગ્રજોના શાસનકાળ દરમિયાન પંચાયતોનું અસ્તિત્વ ભુંસાઈ ગયું હતું. અને તેનું સ્થાન અંગ્રજી કોર્ટોએ લીધું હતું. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં સ્વદેશી વિચારને અમલમાં મુકવાના ભાગ રૂપે પંચાયતોને પુનઃ જીવંત કરવા પ્રજાને હાકલ કરી હતી.તેનું પ્રતિબિંબ આ માનપત્રમા જોઈ શકાય છે.

ગાંધીજીને મળેલા માનપત્રોના ભિન્ન  સ્વરૂપને વ્યક્ત કરતુ એ અન્ય માનપત્ર માણવા જેવું છે. ઉર્દૂ ગઝલના સ્વરૂપમાં લખાયેલ આ માનપત્ર  ૧૩  નવેમ્બર ૧૯૨૯ના રોજ ગાંધીજીને આપવામાં આવ્યું હતુ. માનપત્રમા  રાયબરેલી જીલ્લાના લાખા ગામની મીડલ સ્કુલના હેડ માસ્તર અને જાણીતા શાયર જાનકી પ્રસાદ મૈકશ એ ગાંધીજીના આગમન સમયે પોતાની ગઝલ  દ્વારા તેમના કાર્યોને બિરદાવ્યા હતા. ઉર્દુમાં લખાયેલ અને ૧૩ નવેમ્બરના રોજ રાયબરેલી મુકામે ગાંધીજીના માનમાં યોજાયેલ સમાંરભમાં વાંચી સંભળાવી,તેમને અર્પણ કરવામાં આવેલા માનપત્રની ગઝલના એક એક શબ્દ અને વિચારોમાં ગાંધીજી દ્રશ્યમાન થાય છે. ગઝલના મથાળે લખ્યું છે,

જાનકી પ્રસાદ મૈકશહેડ માસ્તર મીડલ સ્કુલ લાખા જિલ્લા રાયબરેલીએ પછી આરંભેલ ગઝલમાં લખ્યું છે,

આજ કા દિન તુમકો મુબારક હો,

તુમ્હારે ઘરમે વતનકા મદદગાર આયા હૈ

ચરખે સે આવાઝ આતી હૈ  કે તુમ ઇસકો ચલાઓ,

અગર તુમ્હેં ખુશીકા ચહેરા દેખના હૈ,

કોશિશ કરકે તુમ સુત કાંતો ઔર કપાસ ઉગાઓ

તુમ નંગે રહેને કે બજાય બુન્નેકા પેશા ઇખ્ત્યાર કરો,

અગર તુમ હાથ પેર કો હરકત દોગે તો ખુદા બરકત દેગા,

ઔર ઇસકી વજહ સે તુમ તંદુરસ્ત રહોગે

ઔર તુમ્હે દાક્તર કી જરૂરત નહિ પડેગી

સખ્તી કો ઔર કડવાહટ કો તુમ બરદાસ્ત કરો, ઉફ મત કરો

યહી ગાંધીકા ઔર ઉસકે જીનેકા તરીકા હૈ

તુમ જાન ઔર માલ કી પરવા ન કરો

મેં વતન કી શમ્મા કા પરવાના હું

અગર હમારા ઇત્ફાક બલંદી પર હૈ

તો આઝાદીકા સુરજ કરીબી હૈ

ઉસકો ઝાહિર ઔર બાતીની કી સબ ખબર હૈ"

ઉપરોક્ત માનપત્રમા ગાંધીજીનો ચરખો અને તેની પાછળની રાષ્ટ્રને સ્વાવલંબી કરવાની ગાંધીજીની ભાવના શાયરે વ્યક્ત કરી છે. ૧૯૨૯ના ૧૩ નવેમ્બરનો યુગ રાષ્ટ્રીય જાગૃતિની પરાકાષ્ઠાનો યુગ હતો.એક બાજુ અહિંસક ગાંધી વિચારો પ્રસરેલા હતા, તો બીજી બાજુ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓથી  ભારતનો યુવા વર્ગ પ્રભાવિત હતો. એમ કહેવાય છે કે એ યુગમા ગાંધીજીની લોકપ્રિયતા કરતા ભગતસિંગની લોકપ્રિયતા બમણી હતી. અને આમ છતાં ગાંધીનો જાદુ યથાવત હતો. ચરખા અને અહિંસાની ખેવના લોકોના માનસમાં સંગ્રાહેલી હતી. જે આ ગઝલના સ્વરૂપમાં લખાયેલા માનપત્રમા જોઈ શકાય છે.

ગાંધીજી સીતાપુરથી રાયબરેલી આવ્યા. રાયબરેલીમાં તેમને મ્યુનિસિપાલટી, જીલ્લા બોર્ડ, અધ્યાપક સમિતિ, જીલ્લા કિસાન, કોંગ્રેસ કમીટી, સ્વાગત સમિતિ, મહાવીર પ્રસાદ છાત્રાલય અને આર્ય કુમાર વગેરે તરફથી માનપત્રો એનાયત થયા હતા. એમાનું એક આ માનપત્ર અધ્યાપક સમિતિ જીલ્લા રાયબરેલીના સભાપતિ ઈન્દ્રપાલ સિંહ અને સભ્યો તરફથી આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના રાયબરેલી જીલ્લાનું મુખ્ય શહેર રાય બરેલી સાઈ નદી પર વસેલી છે. લખનૌ થી ૮૨ કિલોમીટરના અંતરે આવેલ આ શહેર ભારતના ગાંધી-નહેરુ પરિવાર સાથે જોડાયેલુ છે. આઝાદી પછી જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝશાહ ગાંધી અહીંથી લોકસભામાં ચુંટાયા હતા. એ પછી ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો પણ રાજકીય નાતો આ શહેર સાથે ઘનિષ્ઠ રહ્યો છે. એ શહેરના અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ આ માનપત્રમાં ગાંધીજી સમક્ષ અધ્યાપકોનો મનોદશ વ્યક્ત કરે છે.

હિન્દી ભાષામાં પ્રિન્ટ કરી આપવામાં આવેલ આ માનપત્ર આજથી ૮૭ વર્ષ પૂર્વે તા. ૧૩ નવેમ્બર ૧૯૨૯ના રોજ રાયબરેલી જિલ્લા અધ્યાપક સમિતિ દ્વારા ગાંધીજીને આપવામાં આવ્યું હતું. માનપત્રમાં એ યુગના અધ્યાપકોએ રજુ કરેલ પોતાની વ્યથા અને ગાંધીજી પ્રત્યેની અપેક્ષાઓ આજે પણ સુસંગત ભાસે છે. ગંગાધર પ્રેસ, રાયબરેલીમાં છપાયેલ આ માનપત્રના અંતે રાયબરેલી જિલ્લા અધ્યાપક સમિતિના સભાપતિ ઈન્દ્રપાલ સિંહ અને અન્ય સભ્યો લખવામાં આવ્યું છે. માનપત્રની હિન્દી ભાષા સરળ અને સ્પષ્ટ છે. "શ્રધ્ધેય દેશાત્મા મહાત્મા"ના સંબોધનથી આરંભાયેલા માનપત્રના પ્રથમ પેરેગ્રાફમાં અધ્યાપક સમાજ ગાંધીજીની અપેક્ષાઓમાં ઉણો ઉતરવા બદલ શરમીંદગી વ્યક્ત કરે છે. અને ભારતમાં ગાંધીજી જેવા મહાપુરુષના જન્મથી ગર્વ પણ અનુભવે છે. છેલ્લા છ વર્ષથી રાયબરેલીમાં જિલ્લા અધ્યાપક સમિતિની રચના થઇ છે. જેનો ઉદેશ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન કરવા અને અધ્યાપકો ની લાયકાતમાં અભિવૃદ્ધિ કરવા પ્રયાસ કરવાનો છે. એ ઉદેશની પૂર્તિ માટે આ સમિતીએ પ્રોવિશિયલ ટીચર્સ એસોસિયેશન અને ભારતીય અધ્યાપક મહાસભાની સ્થાપનામાં યોગદાન આપ્યું છે. વળી, અધ્યાપક સમિતિ દ્વારા અસ્પૃશ્યતા નિવારણના ભાગ રૂપે અસ્પૃશ્યોના શાળા પ્રવેશ માટે પણ પ્રયત્નો થયા છે.  સ્કાઉટની પ્રવૃતિને પણ અધ્યાપક સમિતિ દ્વારા વિકસાવવાના પ્રયત્નો થયો છે. અને તેમાં પણ અધ્યાપકોએ રસ દાખવ્યો છે.

આમ છતાં એ યુગમાં પણ અધ્યાપકો પ્રત્યેના સરકારી વલણમાં આજની તુલનામાં કોઈ ઝાઝો ફેર જોવા મળતો નથી. તે માનપત્રના ત્રીજા પેરેગ્રાફમાં વ્યક્ત થયેલા વિચારો દ્વારા જાણી શકાય છે. અધ્યાપક સમિતિએ રાજ નૈતિક માર્ગ પર કદમો માંડ્યા નથી. રાજનીતિથી તે દૂર છે. છતાં માનપત્રમાં એવા આક્ષેપો થયેલા થયેલા જોવા મળે છે કે અધ્યાપકો રાષ્ટ્રીય કાર્યકર્તાઓના હાથની કઠપુતળી બની ગયા છે. પરિણામે શિક્ષા વિભાગ જ અધ્યાપક સમિતિને સહયોગ નથી આપતો. અધ્યાપક સમિતિના અધિવેશનોમાં પણ શિક્ષણ વિભાગ સહયોગ નથી આપતો. જયારે અન્ય સરકારી વિભાગો અધ્યાપક સમિતિને સહકાર આપે છે.

 

અધ્યાપક સમુદાયના સામાજિક દરજ્જા અન્વયે પણ આ માનપત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. જે સમુદાય ગામડાઓ અને શહેરોમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરે છે. તેવા અધ્યાપક સમુદાય અંગે "દીન સમુદાય" તરીકે માનપત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. વળી, અધ્યાપક સમુદાય પ્રત્યેનો દેશ નેતાઓનો અભિગમ પણ નિરાશાજનક જોવા મળે છે. એ અંગે ગાંધીજીને વિનંતી કરતા માનપત્રમાં કહેવામાં આવ્યું છે,

 

"દેશ કે નેતાઓ કા ધ્યાન ભી ઇન ગૃહસ્થો કી ઔર નહિ ગયા હૈ. ઉસી સે હમ બહુત નિરાશ હૈ. શ્રીમાન સે હમારા સાદર  અનુરોધ હૈ કી જિસ પ્રકાર આપ જિલે કે મજદુર આદિ ભિન્ન ૨ વર્ગો કી ઔર ધ્યાન દેતે હૈ ઉસી પ્રકાર હમારી હીન દશા કી  ઔર ભી દ્રષ્ટિ પાત કીજિયે. ક્યોકી ભગવાન ભાસ્કર કી કિરણો સર્વત્ર સમાન પડતી હૈ જબ કિ શ્રીમાન અપને આપ કો દરિદ્ર નારાયણ કા પ્રતિનિધિ કહતે હૈ તો ફિર હમારા સમુદાય ભી આપકી કૃપા કટાક્ષ કા અધિકારી હૈ."

 

ટૂંકમાં આ માનપત્ર એ યુગના અધ્યાપકોની મનોદશાનું તાદ્રશ્ય આલેખન કરે છે. હવે આપણે તે મૂળ માનપત્રનો  અભ્યાસ કરીએ.

 

અભિનન્દન પત્રમ્

 

ભારતમુખ ઉજ્વલ  કારી મહાત્મા મોહનદાસ કર્મચન્દ જી ગાંધી મહોદય કે કરકમલો મેં સાદર સમર્પિત

 

શ્રધ્ધેય દેશાત્મા મહાત્મા જી,

 

જિલા અધ્યાપક સમિત કે હમ સદસ્યગણ આપકા અપને જિલે કી સમિતિ કી ઔર સે અપને પ્રાન્ત (બૈસવાડા) કે કેન્દ્રસ્થ રાયબરેલી નગર મેં સાદર તથા હાર્દિક સ્વાગત કરતે હૈ. ઔર અપને દર્શનો સે કૃત કૃત્ય હોકર અપને કો ધન્યમાનતે હૈ. પરન્તુ લજ્જિત હૈ કે પાહુન યોગ્ય હમારી સેવા નહિ, શ્રીમાન કે નેતૃત્વ મેં કિસાનો, મજદુરો, તથા ગરીબો કી દશા સુધારને કે લિયે જો પ્રભાવશાલી પ્રયત્ન હુયે હૈ વે કિસી સે છિપે નહિ હૈ. ઇસ સમય ભારત કો સંસાર મેં સબસે બડે મહ્પુરુષ કા જન્મ દેને કા ગર્વ જો પુનઃ પ્રાપ્ત હુઆ હૈ, ઉસકા એક માત્ર કારણ શ્રીમાન કા વ્યક્તવ્ય હૈ ઔર ઇસ ભારત કે અધ્યાપક સમાજ કો ભી ગર્વ હૈ.

 

હમારી સમિતિ ગત ૬ વર્ષ સે ઇસ જિલે મેં સ્થાપિત હૈ ઉસકા પ્રધાન ઉદેશ્ય શિક્ષા પ્રણાલી પર વિચાર કરના "અધ્યાપકો કી યોગ્યતા બઢાને મેં પ્રયત્નવાન રહના" એવંમ્ ઉનકી દશા સુધારને કે લિયે ઉદ્યોગ કરતે રહના હૈ. ઇન ઉદેશો કી પૂર્તિ કે લિયે હમારી સમિતિ ને પ્રાવિશિયલ ટીચર્સ એસોશીઅશન ઔર સર્વ ભારતીય અધ્યાપક મહા સભા કી સંસ્થાપના મેં ભરકસ યોગ દિયા હૈ.

હમ લોગો ને અછૂત બાલકો કો પ્રત્યેક સ્કૂલ મેં ભરતી કરને વ સ્પૃશ્યતા મિટાને કા સદા પ્રયત્ન કિયા હૈ. ઔર સ્કાઉટીડ મેં કાફી દિલચસ્પી લી હૈ.

 

યધપી હમારી સમિતિ ને અબ તક રાજનીતિ માર્ગ પર પૈર નહીં રકખા તથાપિ યહ શિકાયત કી જાતી હૈ કિ યહ સમિતિ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ કે હાથ કી કઠપુતલી હૈ દુર્ભાગ્ય સે શિક્ષા વિભાગ હી ને અધિક રુખાઈ દિખાલાઈ ઔર અબભી સમિતિ કે અધિવેશનો મેં જહાં અન્ય સરકારી વિભાગ સહયોગ કરતે હૈ વહાં શિક્ષા વિભાગ ટેઢી ચાલ ચલતા હૈ. હમ શ્રીમાન કો યહ બતાના ચાહતે હૈ કિ ભારત કે હીન સમુદાયો મેં હમારા સમુદાય એક મહાન દિન સમુદાય હૈ જો ગાંવો મેં ફૈલા હુવા હૈ ઔર દેશ કો શિક્ષિત બનાને મેં યથા શક્તિ યોગ દેતા હૈ. ઔર રાષ્ટ્ર કા અત્યાવશ્ય અંગ હૈ.

 

દેશ કે નેતાઓ કા ધ્યાન ભી ઇન ગૃહસ્થો કી ઔર નહિ ગયા હૈ. ઉસી સે હમ બહુત નિરાશ હૈ. શ્રીમાન સે હમારા સાદર  અનુરોધ હૈ કી જિસ પ્રકાર આપ જિલે કે મજદુર આદિ ભિન્ન ૨ વર્ગો કી ઔર ધ્યાન દેતે હૈ ઉસી પ્રકાર હમારી હીન દશા કી  ઔર ભી દ્રષ્ટિ પાત કીજિયે. ક્યોકી ભગવાન ભાસ્કર કી કિરણો સર્વત્ર સમાન પડતી હૈ જબ કિ શ્રીમાન અપને આપ કો દરિદ્ર નારાયણ કા પ્રતિનિધિ કહતે હૈ તો ફિર હમારા સમુદાય ભી આપકી કૃપા કટાક્ષ કા અધિકારી હૈ.

 

અન્તમેં શ્રીમાન કા એક બાર ફિર સ્વાગત કરતે હૈ ઔર શ્રીમાન કે ચિરાયુ હોને તથા નિરોગ રહને કી ભગવાન ભૂતભાવન સે પ્રાર્થના કરતે હૈ.

 

હમ હૈ અનન્ય ભક્ત,-

 

ઈન્દ્રપાલ સિંહ સભાપતિ

ઔર સદસ્યગણ અધ્યાપક સમિતિ જિલા રાયબરેલી

 

ગંગાધર પ્રેસ, રાયબરેલી ૧૨.૧૧.૨૯

 

 

 

 

ગાંધીજીને સન્માનિત કરતા માનપત્રોની આ પરંપરા છેક ૧૯૪૭ સુધી અવિરત પણે ચાલુ રહી છે. એ માનપત્રોમા ગાંધીજીના આદર્શો, કાર્યો અને તેમના પ્રત્યેની પ્રજાની અપેક્ષો અહોભાવ પૂર્ણ રીતે નોંધાયેલી છે. પણ આ તમામ માનપત્રોમા ઉડીને આંખે વળગે તેવી બાબત ગાંધીજી માટે થયેલ વિવિધ સંબોધનો છે. જે તેમની પ્રજા માનસમાં અંકિત થયેલી છબી વ્યક્ત કરે છે. જેના પર એક નજર નાખતા માલુમ પડે છે.

 

પૂજ્ય પાદ મહાત્મા મોહનદાસ કર્મચંદ ગાંધી

શ્રીમાન સત્ય સંધ ત્યાગમૂર્તિ મહાત્મા ગાંધીજી

અમન અને શાંતિના ફરિશ્તા મહાત્મા ગાંધીજી

પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહાત્મા ગાંધીજી

ભારત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

દેશ કે મુકટ ઔર હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

પુણ્યશ્લોક મહાત્મા ગાંધીજી

પૂજ્યપાદ જગ વિખ્યાત મહાત્મા મોહનદાસ ગાંધી

ત્યાગ મૂર્તિ મહાત્મા ગાંધીજી

હમારે હદય સમ્રાટ પૂજનીય મહાત્માજી

નર શ્રેષ્ટ મહાત્માજી

ભારત ગૌરવ પૂજ્યપાદ શ્રી મહાત્મા ગાંધી

દરિદ્ર દેવ – અછૂત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી

 

જેવા અનેક તખલ્લુસોથી સમગ્ર વિશ્વમાં સન્માનિત થયેલા ગાંધીજીને કોઈ એક નાનકડો દેશ નોબેલ પારિતોષિકથી સન્માનિત ન કરે તેથી ગાંધીજીની પ્રતિભા જરાયે ઝાંખી થતી નથી, બલકે ગાંધીજીના અવસાનના ૬૬ વર્ષ પછી પણ એનો વસવસો નોબેલ પારિતોષિક સમિતિ આજે પણ કરી રહી છે. એ જ ગાંધીજીના વ્યક્તિત્વનું સાચું સન્માન છે.

 

 

ગાંધી વિચારધારા અને આત્મનિર્ભરતા : ડૉ. મહેબૂબ દેસાઈ

આજે ગાંધી ભારતમાં થોડા અપ્રસ્તુત થતા જાય છે. જયારે વિદેશમાં તે વધુને વધુ પ્રસ્તુત થતા જાય છે. જો કે એ ભારતની માનસિકતામાં રહેલી વર્તણુંક છે. રવીન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલીના કાવ્યોને ભારતના અખબારોએ છાપવાની તસ્દી નહોતી લીધી. પણ જયારે તે જ કાવ્યોને નોબલ પારિતોષિક એનાયત થયુ  ત્યારે આપણે રવીન્દ્રનાથ ઠાકુરને હાથો હાથ ઉપાડી લીધા. અને તેના ગુણગાન કર્યા. એવું જ ગાંધી માટે થયું  છે. જયારે આપણે ગાંધીજી પર ફિલ્મ બનાવવાનું વિચારતા પણ ન હતા. ત્યારે ગાંધીજી પર વિદેશી ફિલ્મ સર્જક રીચાર્ડ એડનબરોએ ઉત્તમ ફિલમ બનાવી અને એ ફિલ્મને અઢળક ઓસ્કાર મળ્યા. એવું જ નોબેલ પારિતોષિક માટે થયું છે. એક સમયે નોબલ પારિતોષિક માટે ગાંધીજીનું નામ ત્રણવાર વિચારણા તળે હતું. સૌ પ્રથમ, ૧ ઓક્ટોબર ૧૯૩૮ના રોજ લંડનની ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા સોસાયટી” એ શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની નોર્વે સરકારને ભલામણ કરી હતી.  એ પછી બીજીવાર ૧૪ માર્ચ ૧૯૪૭ના રોજ ઓસ્લોથી સમાચાર આવ્યા કે શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે ગાંધીજીના નામની ભલામણ થઇ છે. અને ત્રીજીવાર ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ પુનઃ એ જ સમાચાર આવ્યા. એ  સમયે સૌને આશા હતી કે ગાંધીજીને જરૂર નોબેલ પારિતોષિક મળશે. પણ એ આશા ઠગારી નીવડી. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ન મળ્યું. એ માટે સમિતિના સભ્યોએ કારણ આપતા કહ્યું હતું,

 “ગાંધીજીની અહિંસાની લડત વિશ્વ શાંતિ માટે ન હતી. પણ પોતાના દેશને આઝાદ કરાવવા પુરતી સીમિત હતી”.

આમ છતાં આજે પણ વિશ્વમાં મહાત્મા ગાંધીજી એક એવું અદભુદ વ્યક્તિત્વ છે કે જેના આચારવિચાર અને વ્યવહાર વિચારધારા બની ગયા છે. સંસ્થા બની ગયા છે. આજે તેમના સત્ય, અહિંસા અને સર્વ ધર્મસમભાવના વિચારો વિશ્વના ચિંતકો માટે સ્વચ્છ અને મુલ્યનિષ્ઠ  જીવનનો માર્ગ બની ગયા છે. કારણ કે ગાંધીજીના વિચાર અને આચારમાં કોઈ ભેદ ન હતો. તેઓ જે કહેતા એ જ જીવતા. આચરણમાં મુકતા. સત્ય અહિંસાનું તેમનું આચરણ આજે પણ વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ છે. પરિણામે સંયુક્ત રાષ્‍ટ્ર સંઘે (યુએનઆઇ) મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ૨ ઓક્ટોબરને આંતરરાષ્‍ટ્રીય “અહિંસા દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

તેમની વિચારધારાના મુખ્ય ચાર સ્તંભો હતા.

૧. સત્ય :  સત્ય એક ઈશ્વર

૨. અહિંસા : માનવીય અહિંસા : નિર્મૂળ અહિંસા શક્ય નથી.

૩. સર્વધર્મ સમભાવ : સત્ય એક ઈશ્વર અર્થાત નૈતિક મૂલ્યોનું આચરણ એજ ધર્મ

૪. આત્મ નિર્ભરતા  : સૂતર ને તાંતણે સ્વરાજ : ખાદી આત્મ નિર્ભરતાનું મુખ્ય સાધન

 

યરવડા જેલને ગાંધીજીએ “યરવડા મંદિર” નામ પાડ્યું હતું. ત્યાં તેમને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો આવતા. આ નિવૃત્તિનો સમય તેમણે રેંટીયાની ભક્તિ અને ગીતાના મનમાં કાઢ્યો.એ અરસામાં આશ્રમની સવારની પ્રાર્થના સભા માટે પ્રવચન લખી મોકલવાનો આગ્રહ કેટલાક આશ્રમવાસીઓ તરફથી થયો. પરિણામે આશ્રમના ૧૧ વ્રતો ગાંધીજીએ લખી મોકલ્યા. એ અગિયાર વ્રતો ગાંધીજી વિચારના કેન્દ્રમાં છે.

ગાંધીજીના આ અગિયાર વ્રતો નીચે મુજબ છે.

૧. સત્ય ૨. અહિંસા ૩. બ્રહ્મચર્ય ૪. અસ્વાદ ૫. અસ્તેય  ૬. અપરિગ્રહ ૭. અભય ૮. અસ્પૃશ્યતા નિવારણ ૯. જાતે મહેનત ૧૦. સર્વ ધર્મ સમભાવ ૧૧.સ્વદેશી.

આમાં જાતે મહેનત અર્થાત સ્વાવલંબન, પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવુંમાં આત્મ નિર્ભરતાનો સિધ્ધાંત સમાયેલો છે.

અહિંસાના પુજારી ગાંધીજી અહિંસા સાથે સાદગી અને સ્વાવલંબીપણા માટે પણ જાણીતા છે. સાદાઈથી રહેવું અને જાતે કામ કરી લેવું આ બંને બાબતોમાં ગાંધીજીને ખાસ પ્રયત્ન કરી ને મનને તૈયાર નથી કરવું પડ્યું. વિલાયતમાં તેઓ ભણતા હતા ત્યારે  અન્નાહારી વીશીઓ શોધતા-શોધતા ગમે તેટલે દૂર પગપાળા ચાલીને જવામાં ગાંધીજી કયારેય આળસ અનુભવતા નહિ. અને એ પછી ગાંધીજી પોતાની રસોઈ જાતે બનાવતા શીખી ગયા હતા. ગાંધીજી બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન આવ્યા ત્યારે પણ મુંબઈમાં પોતાને ઘેરથી કોર્ટ સુધી તેઓ પગપાળા જતાં. દક્ષિણ આફ્રિકામાં તેમણે જોયું કે ગોરો હજામ પોતાના વાળ કાપવા તૈયાર નથી ત્યારે તેની ખુશામત કરવાને બદલે પોતાને હાથે જેમ તેમ વાળ કાપી લીધા હતા. અને ત્યારે કોર્ટમાં ગોરા બેરિસ્ટરે મજાક કરતા પૂછ્યું મિસ્ટર ગાંધી તમારા વાળ ઉંદરે કતરી ખાધા છે કે શું ? ત્યારે બાપુએ આખો કિસ્સો તેમને હસતા હસતા કહી  સંભળાવ્યો હતો.  ત્યાર પછી તેમણે ટોલ્સટોય અને રસ્કિનના પુસ્તકો વાંચ્યા. પરિણામે તેઓ સાદાઈ અને સ્વાવલંબન તરફ વધુ વળ્યા. ઝૂલું યુધ્ધના દિવસોમાં  એબ્યુલસ કોરનું કામ લઈને જે કષ્ટ ઉઠાવવા પડ્યા તેનું વર્ણન તેમણે તેમના ગ્રંથોમાં આપ્યું છે. માણસનું શરીર સહન કરી શકે તેથી વધારે કષ્ટ સહન કરી તેમણે એમ્બ્યુલન્સ કોરનું કામ કર્યું. ટોલ્સટોયનું પુસ્તક વાંચતા બ્રેડ લેબર (રોટી માટે મજૂરી) નો વિચાર પણ તેમને ગમી ગયો. એમને ખાતરી થઈ કે શરીરને જીવતું રાખવા જેણે ખાવું છે, તડકાથી બચવા માટે જેણે વસ્ત્રો પહેરવા છે, તેણે અન્ન વસ્ત્રોના ઉત્પાદનમાં કાઈને કાઈ ભાગ લેવો જ જોઈએ. હરિજનોના દુઃખ દૂર કરવા હોય તો ઝાડો પેશાબ સાફ કરવાનું, પાયખાના સાફ કરવાનું કામ પણ હાથે કરવું જોઈએ અને એ કામમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી સફાઈના કામને આદર્શ સુધી તેઓ લઇ ગયા. અને તેનો કડક રીતે પોતાના જીવનમાં તેમણે અમલ પણ કર્યો.

દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં સ્વાવલંબી અર્થાત જાતે મહેનતનો પ્રારંભમાં અમલ કરવવા માટે તેમને ખુદ તેમના પત્ની કસ્તુબા સાથે પણ વિચારી સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. એ ઘટના ગાંધીજીએ પોતાના શબ્દોમાં જ પોતાની  આત્મકથામાં ટાંકેલ છે. એ સાચે જ જાણવા જેવી છે.

આવો જ એક રસપ્રદ કિસ્સો આશ્રમના નિયમો અંગેનો જાણવા જેવો છે. ગાંધીના આશ્રમના નિયમોમાં  પણ આત્મ નિર્ભર કેન્દ્રમાં હતી. સૌ એ પોતાનું કાર્ય પોતે જ કરવું પડતું. એમાં કોઈ બાંધ છોડ ગાંધીજી કયારેય ચલાવી લેતા નહિ. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ દરેક પોતના સંડાસ સાફ કરવાનો નિયમ કર્યો હતો. પણ એ નિયમનો વિરોધ સૌ પ્રથમ તેમની પત્ની કસ્તુરબા એ કર્યો. અને તમને સંડાસનું વાસણ અડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. ત્યારે મોટે ભાગે શાંત રહેતા મોહનદાસ ગાંધી પણ ગુસ્સે થઇ ગયા. અંગારા વેરતી આંખો, ચહેરા પર ક્રોધની રેખાઓ અને અવાજમાં ઉગ્રતા સાથે મોહનદાસ ગાંધીએ પત્ની કસ્તુરબાનો હાથ ઝાલીને રીતસર ઘરની બહાર ધક્કો માર્યો અને બોલાયા,

“તારે વાસણ (કમોડ) સાફ કરવું ન હોય તો મારી સાથે રહેવાની પણ જરૂર નથી. નીકળી જા ઘરની બહાર.”

અને પારકા દેશમાં અસહાય દશામાં ઘરમાંથી બહાર કાઢી મુકતા પતિ સામે રડમસ ચહેરે જોઈ કસ્તુરબા બોલ્યા,

“તમને તો લાજ નથી, જરા તો શરમાવ હું બહાર નીકળીને ક્યાં જવાની હતી ? અહીં માં-બાપ નથી કે ત્યાં જાઉં હું બાયડી થઇ એટલે મારે તમારા ધુબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોઈ જાશે તો બેમાંથી એકે નહિ શોભીએ.”

પણ ગાંધીજીનો સંયમ અને સમજ બંન્ને એ તારીફે કાબિલ હતા. તેમણે તુરંત સ્વસ્થતા કેળવી અને બોલી ઉઠ્યા.

“સારું તારું વાસણ (કમોડ) હું સાફ કરી નાખીશ.”

આત્મ નિર્ભરતાના આવતો અનેક દ્રષ્ટાંતો ગાંધી આશ્રમમાં સામાન્ય હતા.

ગાંધીજી પોતાની જાતને વણકર અને ખેડૂત જ કહેતા. ૧૯૨૨મા અમદાવાદના સર્કીટ હાઉસમાં ચાલેલ કેસમાં ગાંધીજીને છ વર્ષની કેદની સજા થઇ. બંગાળના નાનકડા ગામનો એક મુસ્લિમ ખેડૂત આ સમાચાર જાણી રડવા લાગ્યો. કોઈ એ પૂછ્યું, “તું શું કામ રડે છે ?”

પેલો ખેડૂત બોલ્યો,

“મારી જાતિના એક ૫૩ વર્ષના એક વૃદ્ધને છ વર્ષની સજા થઇ.”

“તારી જાતી કઈ ?”

“હું વણકર છું અને ગાંધજીએ પણ કોર્ટમાં પોતાનો વ્યવસાય વણકર કહ્યો છે.”

આજ ગાંધીની જન શક્તિ હતી.

બાપુની આત્મ નિર્ભરતાની પરાકાષ્ટા સમો એક કિસ્સો જાણવા જેવો છે. બાપુ ડીલ પર ક્યારેય પહેરણ પહેરતા નહિ. તેમની ધોતી પણ તેમણે પોતે જાતે કાંતેલા સુતરમાંથી બનાવેલી હતી. એક દિવસ એક નાનકડા વિદ્યાર્થીએ ગાંધીજી પૂછ્યું.

“આપ પહેરણ કેમ નથી પહેરતા ?”

“મારી પાસે એટલા પૈસા ક્યાં છે ?”

“હું મારી માં ને કહું છું તે આપને પહેરણ સીવી આપશે.”

“એક બે પહેરણે મને નહિ થયા”

“તમારે કેટલા જોઈએ છીએ ?”

“મારે તો  મારા ચાલીસ કરોડ ભાઈભાડુંઓ માટે જોઈએ છે.”

વિદ્યાર્થી મૌન થઇ ગયો.

ગાંધી બોલ્યા,

“મારા ચાલીસ કરોડ ભાઈભાડું આત્મ નિર્ભર ન થાય ત્યાં સુધી હું પહેરણ કેમ કરીને ફરું ?” 

ગાંધીજીની અહિંસાની વિભાવના પણ માનવીય આદર્શો પર આધારિત હતી. તેના કેન્દ્રમાં વિચાર માત્ર ન હતો, પણ માનવતા હતી. આ સંદર્ભે આશ્રમનો એક કિસ્સો બહુ જાણીતો છે. સાબરમતી આશ્રમમાં એક ગાયનું વાછરડું એક માંદગીને કારણે રીબાઈ રહ્યું હતું. ગાંધીજી યાત્રામાંથી આવ્યા. અને તેમને તે વાછરડાની જાણ થઇ. તેમણે આશ્રમવાસીઓ સાથે ચર્ચા કરી. અને વાછરડાને મરણદાન આપવાનું નક્કી કર્યું. વલ્લભભાઈ પટેલ આશ્રમમાં આવ્યા. બાપુના નિર્ણયની જાણ થતા બોલી ઉઠ્યા,

“આ વાછરડો તો બે ત્રણ દિવસમાં એની મેળે જ મરી જશે. પણ એને મારી નાખશો તો નાહકનો ઝગડો વહોરી લેશો. આખા દેશના હુંદુ સમાજમાં ખળભળાટ મચી જશે. હમણાં ફાળો ઉધરાવવા મુંબઈ જવાનું છે. ત્યાં આપણને કોઈ પાઈએ નહિ આપે. આપણું ઘણું કામ અટકી જશે.”

પણ ગાંધીજી મક્કમ હતા. તેમણે દાકતરને બોલાવી તે વાછરડાને ઝેરનું ઈન્જેકશન આપી મરણદાન આપ્યું. જો કે એ પછી ગાંધીજી પર “નવજીવન”માં પ્રશ્નોનો વરસાદ વરસ્યો હતો. ગાંધીજીની અહિંસાના વિચાર પર લોકોએ શંકાઓ વ્યક્ત કરવા માંડી હતી. પણ ગાંધીજી પોતાના અહિંસાના માનવીય અભિગમને  મક્કમતાથી વળગી રહ્યા હતા.

આત્માનિર્ભરતા એ આઝાદીની લડત અને રાષ્ટ્રીય જાગૃતિ માટે અનિવાર્ય હતા. એ વાત ગાંધીજી બરાબર સમજતા હતા.  એટલે જ ગાંધીજીએ આત્મનિર્ભરતાના મુખ્ય સાધન તરીકે રેટીયા અને ખાદીને દેશ વ્યાપી બનાવ્યા હતા. ગાંધીજી માનતા કે ખાદી અને ગ્રામોદ્યોગ સ્વનિર્ભરતા, સ્વાવલંબન અને ગ્રામ સ્વરાજના પાયાના પથ્થરો છે. આ અંગે નારાયણ દેસાઈ લખે છે,

“ગાંધીજીને મન સ્વરાજ માટેના આખા આંદોલનની કરોડરજ્જુ રચનાત્મક કામ હતું. અને તેમાંય તેઓ ખાદીને સર્વ ગ્રામોદ્યોગના સૂર્યમંડળમાં સૂર્યનું સ્થાન આપતા હતા. તેથી સાબરમતી આશ્રમ સ્થપાયો ત્યારથી આખર સુધી તેમણે આખા દેશને ખાદીના વિચારને સમજાવવાનું, એના કામનું આયોજન અને એની વ્યવસ્થા ગોઠવવાનું તેના કાર્યકર્તાઓની તાલીમમાં રસ લેવાનું નિરંતર ચાલુ રાખ્યું હતું.”

લોકમાન્ય તિલકે કહેલું “સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે.” એટલે ગાંધીજીએ તેમના કાર્યને આગળ ધપાવતા નવું સૂત્ર આપ્યું હતું, “સૂતરના તાંતણે સ્વરાજ”.

 

 

 

 

  

ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ : બકુલા દેસાઈ ઘાસવાલા

 બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધન કાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ! એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ. અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારત ભરનાં તો ખરાં જ. તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે. આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય. ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે. કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે. એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે. સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે .અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે. નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે. સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં. અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે. તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.
ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ, શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)
 
મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય. સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું, પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની, આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે શ્રી ગફુરભાઈ બિલખીયાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે.અલબત્ત, દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો  ! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.
ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

----------------------------------------------------------------------------------------------------------
પ્રકાશક: ગૂર્જર ગ્રંથ રત્ન પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩
કિંમત :૧૨૦૦/૦૦ .